વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ: વૃદ્ધાનું મોત, સાતને ઈજા મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો...
- 25 Apr, 2024
અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર મામલે છેલ્લા કેટલાય સમયથી આંતરિક વિગ્રહ ચાલી રહ્યો હતો. સામસામે રહેતા બે જૂથો વચ્ચે પત્રિકામાં નામ છપાવવા બાબતે મતભેદ હતા. શાંતિથી મામલો ઉકેલવાના બદલે વધુ વણસી ગયો , અને વિવાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.અને આ પથ્થરમારા માં નિર્દોષ લોકોને ભોગ આપવો પડ્યો જેમાં એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત વૃદ્ધાના મોત તથા પથ્થરમારા મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પથ્થરમારાની ઘટના અંગે ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છાપવા બાબતે કેટલાક સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો.આજે આ વિગ્રહ વધારે ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવશે.
બનાવની વધુ વિગત મુજબ વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજાવવાનો છે. આ પ્રસંગમાં પત્રિકામાં નામ છાપવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. આજે આ મામલો ઉગ્ર બન્યો જેમાં બે જૂથ સામસામે થઈ ગયા અને વાત એટલી હદે વણસી કે બંને જૂથોએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ પથ્થરમારાની ઘટના જુથો વચ્ચે ચાલી રહી હતી ,પરંતુ તેનો ભોગ નિર્દોષને આપવો પડયો અને એમાં સાત લોકોને ઇજા પહોંચી , જ્યારે એક 70 વર્ષના નેવીબેન મેવાડા નામના વૃદ્ધાનું મોત થયું છે.
બનાવની જાણ થતાં ડીસીપી,એસીપી,પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કર્યા છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત ઘાયલ લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસે તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ